Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૪૧.૫૦ લાખ વ્યાજે લીધા પછી રૂ।.૧૧.૯૦ લાખ વ્યાજ ચૂકવ્યું: ચાર વ્યાજખોર સામે કડક ઉઘરાણીની ફરિયાદ

સોનાના દાગીના સામે વ્યાજે પૈસા મેળવ્યા પછી પણ ઝૂંટવાયો સોનાનો ચેઈનઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૭: જામનગરના પ્રણામી સ્કૂલ વિસ્તારમાં રહેતા એક મહિલાએ સોનાના દાગીના સામે રૂ।.૩ લાખ ૪૦ હજાર છ ટકાના વ્યાજે લઈ રૂ।.દોઢ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ રૂ।.પ લાખની માગણી કરી એક શખ્સે સોનાનો ચેઈન બળજબરીપૂર્વક પડાવી લેતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે એક યુવાને રૂ।.૪૧ લાખ ૫૦ હજાર ૧૦ ટકાથી ૩૦ ટકાના વ્યાજે લઈ ચાર શખ્સને વ્યાજ પેટે રૂ।.૧૧ લાખ ૯૦ હજાર ચૂકવી આપ્યા હોવા છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી અપાતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ શખ્સોએ ૪૦ કોરા ચેક પડાવી લીધાની પણ વિગત ફરિયાદમાં જાહેર કરવામાં આવી છે.

જામનગરના હિંગળાજ ચોક નજીકની આશાપુરા સોસાયટીમાં રહેતા માધવીબેન જીતેન્દ્રભાઈ રાવલ નામના મહિલાએ ગયા એપ્રિલ મહિનામાં ગાંધીનગરમાં મંદિર પાસે વસવાટ કરતા વિજય અરેડીયા પાસેથી રૂ।.૩ લાખ ૪૦ હજાર છ ટકાના વ્યાજે લીધા પછી તેની સામે સોનાના દાગીના વિજયભાઈને આપ્યા હતા.

તે રકમમાંથી રૂ।.દોઢ લાખ માધવીબેને પરત ચૂકવી દીધા હતા અને બાકીની રકમ ચૂકવવાની હતી. તેમ છતાં અવારનવાર માધવીબેનના ઘેર જઈ ગાળો ભાંડી વિજય અરેડીયાએ વધુ રૂ।.પ લાખની માગણી કરી ફોન પર પણ ધમકી આપી હતી. તે દરમિયાન માધવીબેનનો સોનાનો ચેઈન પણ બળજબરીપૂર્વક લઈ લેવામાં આવ્યો હતો. સિટી સી ડિવિઝનમાં ગઈકાલે માધવીબેને ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે ગુણાતીતનગર-૧માં રહેતા સંજયભાઈ રણમલભાઈ નકુમ નામના યુવાને એકાદ વર્ષ પહેલાં પૈસાની જરૂરિયાત ઉભી થતાં દિવ્યરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા નામના ચાર આસામી પાસેથી જુદા જુદા સમયે ૧૦ ટકાથી ૩૦ ટકાના વ્યાજ પર રૂ।.૪૧ લાખ પ૦ હજાર મેળવ્યા હતા.

તે પછી દિવ્યરાજસિંહે રૂ।.ર લાખ, મયુરસિંહે રૂ।.૧ લાખ ૩૦ હજાર, સહદેવસિંહે રૂ।.૧ લાખ ૬૦ હજાર અને કરણસિંહે રૂ।.૭ લાખ પરત મળી ગયા હોવા છતાં ફોન પર તેમજ રૂબરૂમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત સંજયભાઈના ખાતાવાળી બેંકના કુલ ૪૦ ચેક બળજબરીથી કઢાવી લઈ ઉઘરાણી યથાવત રાખતા આખરે સંજયભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh