Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમ કુંડોમાં જ ગણેશ વિસર્જન કરવા અપીલ

માનવ જીવન અમૂલ્ય છે, જીવનું જોખમ ન લ્યો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: અમૂલ્ય માનવ જીવન તથા પર્યાવરણને બચાવવા નદી તળાવ કે દરિયા જેવા કુદરતી સ્ત્રોતના બદલે મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કુંડમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા જિલ્લા કલેકટર કેચન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ નાગરિકોને અપીલ કરી છે.

ગણેશોત્સવ પર્વને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, અને પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે-સાથે નાગરિકોના જીવનું જોખમ ઘટાડવા શહેરીજનોને એક મહત્ત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે.

આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાગરિકોને જણાવાયું છે કે ગણેશજીની મૂર્તિનું વિસર્જન નદી, તળાવ કે દરિયા જેવા કુદરતી જળાશયોમાં કરવાને બદલે મહાનગરપાલિકા દ્વારા ખાસ નિર્મિત કુંડમાં જ કરવું હિતાવહ છે.અને આ માટે નાગરિકો વિશાલ હોટલની પાછળ, પ્લોટ નં.૯૮, ટી.પી.સ્કીમ નં-૨ તથા સરદાર રિવેરા, લાલપુર બાયપાસ પાસે, રણજીત સાગર રોડ તરફ જતા માર્ગ ખાતે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં મૂર્તિ વિસર્જન કરે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

નદીઓ અને દરિયા કિનારે વિસર્જન કરવા જતી વખતે લોકો અજાણતાં ઊંડા પાણીમાં જવાથી કે લપસી પડવાથી અકસ્માતનો ભોગ બને છે. આવા બનાવોમાં જીવ ગુમાવવાની શક્યતા પણ રહેલી છે.વધુમાં ગણેશજીની મૂર્તિઓ મોટાભાગે પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલયુક્ત રંગોથી બનાવવામાં આવે છે. જ્યારે આ મૂર્તિઓ કુદરતી જળાશયોમાં વિસર્જિત થાય છે, ત્યારે પાણીમાં રહેલા જીવો અને સમગ્ર જળચર ઇકોસિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, આવા કેમિકલયુક્ત પદાર્થો જળ પ્રદૂષણમાં પણ વધારો કરે છે, જેના કારણે માનવ સ્વાસ્થ્યને પણ જોખમ ઊભું થાય છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરમાં અલગ-અલગ સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. આ કુંડનો ઉપયોગ કરવાથી પાણીનું પ્રદૂષણ અટકાવી શકાય છે અને સૌથી અગત્યનું, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે.

આગામી તહેવારની ઉજવણી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર અને કોઈપણ જાતના જોખમ વગર થાય તે માટે આ અપીલનું પાલન કરવું અનિવાર્ય છે.ગણેશોત્સવ એ શ્રદ્ધા અને ભક્તિનો પર્વ છે, પરંતુ સાથે જ પર્યાવરણ અને આપણા પોતાના જીવન પ્રત્યેની જવાબદારી સમજવી પણ જરૂરી છે.આથી, નાગરિકોને અનુરોધ છે કે તેઓ આ અપીલને ગંભીરતાથી લે અને મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત વિસર્જન કુંડનો જ ઉપયોગ કરે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh