Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાએ કેટલાક લોકો વેરો નહીં ભરતા હોવાથી જે તે આખા વિસ્તારનો પાણી પૂરવઠો બંધ કરવાની જાહેરાત કરી તેની સામે ઉહાપોહ ઉઠ્યો હતો. ઘણી સોસાયટીઓમાં વર્ષોથી રહેતા નાગરિકો પહેલેથી જ તદ્દન નિયમિતપણે પાણીવેરા સહિતનો તમામ કરવેરો જામનગર મહાનગરપાલિકાને ચૂકવતા આવ્યા છે, અને તે પૈકી ઘણાં લોકો એવા છે કે જેઓની પાસે જામનગર મહાનગરપાલિકાના પાણીના જોડાણ સિવાય પાણીનો બીજો સોર્સ કે બોર-કૂવો પણ નથી, તેવા લોકોની સ્થિતિ કેવી કફોડી થશે, તેનો જરા પણ વિચાર કર્યા વિનાનો કથિત નિર્ણય તત્કાળ ફેરવવો જ પડે તેમ હતો, કારણ કે આ પ્રકારની અન્યાયી તથા અણઘડ જાહેરાત મૂળમાંથી જ ખોટી ગણાય.
ઘણાં લોકો વીજળી બીલ નથી ભરતા તો વીજ કંપનીવાળા બીલ નહીં ભરનારનું જ કનેકશન કાપે, અને તે પછી નિયમાનુસાર દંડ ભરાવે, રિકનેકશન ચાર્જ ભરાવે અને બાકી બીલ વસુલે તે પછી જે-તે ગ્રાહકોનો વીજ પુરવઠો ચાલુ કરે. આ પ્રક્રિયા બીલ નહીં ભરનારને વ્યક્તિગત અસર કરે છે, તેના બદલે જે વિસ્તારમાં કેટલાક લોકોએ વીજ બીલ ન ભર્યું હોય, તો તે આખા વિસ્તારને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે તો શું થાય ?
નિયમિત પણે વેરાઓ ભરનારાઓનો પાણી પુરવઠો એક દિવસ માટે પણ કોઈપણ કારણ વિના મનસ્વીપણે બંધ કરવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંત તથા દેશના બંધારણે નાગરિકોને આપેલા મુળભૂત અધિકારોનો પણ ભંગ છે, તેથી આ પ્રકારનો નિર્ણય લેવાયો હોય કે તે અમલમાં મૂકાયો હોય, કે પછી તે પ્રકારનો ડર દેખાડાઈ રહ્યો હોય, તો તે કાનૂની દૃષ્ટિએ પણ યોગ્ય ઠેરવી નહીં શકાય. આ અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત થશે તેવા સંકેતો મળતા તંત્રો દોડતા થયા છે.
બીજી તરફ નાગરિકોની પણ ફરજ છે કે તમામ કરવેરા નિયમિત ભરવા જોઈએ. જો કરવેરા નહીં ભરીએ, તો વિવિધ સેવા-સુવિધાઓનો પણ હક્ક રહેશે નહીં. અને સુકા સાથે લીલું બળે, તેમ નિયમિત કરવેરાઓ ભરનારાઓને પણ વગર વાંકે મુશ્કેલી ભોગવવી પડે. આથી બાકીદારોએ તત્કાળ વેરો ભરવો જોઈએ, અને તંત્રોએ પણ આખા વિસ્તારના વાલ્વ બંધ કરીને પાણી પુરવઠો અટકાવવાના બદલે નોટીસો અપાઈ હોય, તેવા મકાનોના જ નળ જોડાણો કાપવા જોઈએ.
દૃષ્ટાંત તરીકે હાલારમાં વીજ વિભાગની વર્તુળ કચેરી દ્વારા મેગા-ડીસ કનેકશન ડ્રાઈવ ચાલી રહી છે, અને વીજળીના કરોડો રૂપિયાની વસુલાત માટે ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ કવાયતમાં બંને જિલ્લાની ત્રણ ડઝન જેટલી કચેરીઓની સાડા ત્રણસોથી વધુ ટીમો કામે લાગી હતી. આ ટીમો બાકીદારોના વીજ કનેકશનો કાપીને નિયમાનુસાર કડક કાર્યવાહી પણ કરી રહી છે, પરંતુ આ કાર્યવાહી માત્ર બાકીદારો સામે જ વ્યક્તિગત રીતે કરવામાં આવે છે. જો વીજ કંપની પણ જામ્યુકોના તંત્ર જેવી જ મુર્ખામી કરે, તો અંધારપટ્ટ જ સર્જાઈ જાય ને ?
જામ્યુકોનો આ અંગે ઉહાપોહ ઉઠયા પછી ના છૂટકે પરોઠના પગલા ભરવા પડે અને પછી પાણી પુરવઠો તત્કાળ ચાલુ કરવો પડે તેવા સંજોગોમાં હકીકતે બાકીદારો હોય, તેઓ પણ તેનો ગેરલાભ ઉઠાવે, તે પહેલા જ જરૂરી ચોખવટ કે સુધારો કરીને નિયમિત કરવેરા ભરતા કોઈપણ નાગરિકનો પાણી પુરવઠો એકાદ દિવસ પૂરતો પણ અટકાવાય નહીં તેેની કાળજી જરૂરી હતી.મુખ્યમંત્રી સ્વયં આ અંગે તંત્રને નિર્દેશો આપશે, તેવી આશા નગરજનોને પણ છે. જ્યાં સુધી નિયમિત બીલ ભરનારાઓ તથા નિયમિત કરવેરા ભરનારાઓને તકલીફ નહીં પડે કે હેરાન નહીં થવુ પડે, ત્યાં સુધી ઠીક છે, અન્યથા આ પ્રકારે સત્તાના દુરૂપયોગ સામે તો અદાલતોના દ્વારા પણ હંમેશાં ખૂલ્લા જ રહેતા હોય છે, તે ભૂલવું ન જોઈએ.
આ મુદ્દે જનતાની દુભાવેલી ભાવનાને વાચા આપવા "નોબત" દ્વારા તા. ૧૬ માર્ચે ચોથા પાને પ્રજાને "પડતા પર પાટુ" જેવી સ્થિતિમાં થોડો સમય પાણી પુરવઠો બંધ નહીં કરવાની પણ અપીલ તંત્રોને કરાઈ હતી, તેમ છતાં તે જ દિવસે આ જાહેરાત થઈ અને બીજા દિવસે અમલ સાથે તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર થયો તેથી નિયમિત કરવેરા ભરતા પ્રામાણિક નાગરિકોનું દિલ દુભાયુ છે, તેથી આ પ્રકારનો મનસ્વી નિર્ણય માત્ર મોકુફ રાખ્યે કે પાછો ખેંચ્યે નહીં ચાલે, પરંતુ તંત્રવાહકોએ આ બદલે જનતાની માફી પણ માંગવી જોઈએ, ખાસ કરીને પ્રામાણિક કરદાતાઓની માફી માંગવી જોઈએ, તેમ નથી લાગતું ?
જ્યાં સુધી આ પ્રકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તામાં હતા, ત્યાં સુધી આટલા કડક પગલાં બહુ લેવાયા નહીં, અને હવે વેરા વસુલાતની કડક ઝુંબેશો ચાલી રહી છે, તે આગામી ચૂંટણીમાં પણ પડઘાશે અને નિયમિત અને પ્રામાણિક રીતે કરવેરા ભરતા નગરજનોમાં નારાજગી હશે, તો તે પણ રિફલેકટ થશે, તે પણ હકીકત છે. તે ઉપરાંત જિલ્લા અદાલત કે હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી પણ થઈ શકે છે તેથી ભવિષ્યમાં આ પ્રકારના નિર્ણયો લેતા પહેલા તકેદારી રખાશે તેમ ઈચ્છીએ.
ટૂંકમાં પાણી પુરવઠો (સેનિટેશન) વીજળી પુરવઠો જેવી જીવન જરૂરી સેવાઓ અચાનક અને સામૂહિક રીતે આખા વિસ્તારો માટે નિયમિત વેરા કે બીલો ભરનારાઓને પણ દંડાવુ પડે તેવી રીતે બંધ કરવી તે અન્યાયકર્તા અને અમાનવિય હરકત ગણાય. વેરા નહીં ભરતા લોકોને જરૂરી નોટીસો આપી દીધા પછી તેના વ્યક્તિગત જોડાણો કાપવાનો તંત્રને અધિકાર હશે, પરંતુ આખે આખી સોસાયટીઓ, ટાઉનશીપો કે વિસ્તારોનો પાણી પુરવઠો અટકાવવો એ જરાયે ન્યાયસંગત નથી. આ અંગે વહીવટદાર અને મ્યુનિ. કમિશનર ચોખવટ કરશે અને તંત્રમાં ટોપ-ટુ-બોટમ યોગય સૂચનાઓ અપાશે તેવું ઈચ્છીએ. અત્યારે તો આ વિવાદાસ્પદ પ્રક્રિયા સ્થગિત કરાઈ હોવાથી ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial