Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે કેટલાક ઘટનાક્રમો જુનો ઈતિહાસ દોહરાવાઈ રહ્યો હોય, તેવા જણાય છે!
હૂતાશણીની ઉજવણી પાછળનો સંદેશ જગજાહેર છે. સત્યને સળગાવી શકાતું નથી, અને જુઠ્ઠાણાનું જોર કાયમ માટે ચાલતું નથી. આપણે હૂતાશણીના પર્વે દુર્ગુણોને અગ્નિમાં હોમવાની વાતો કરીએ છીએ, પરંતુ હકીકતે મોટાભાગે તેવું કરતા નથી. હૂતાશણી પછી ધૂળેટી આવે છે અને તે દિવસે લોકો રંગે રમે છે, જાણે જુઠ્ઠાણાના અસત્યના અસુરને નૃસિંહ ભગવાનના હસ્તે હણાયો, તેની ઉજવણી થઈ રહી હોય, આપણે પ્રાચીનકાળથી અર્વાચીન કાળ સુધી સત્ય અને અસત્યની લડાઈઓ જોતા અને અનુભવતા આવ્યા છીએ, છતાં જુઠ્ઠાણાનું જોર નેસ્તનાબૂદ થતું નથી, તે પણ હકીકત જ છે ને?
આપણે ભારતમાં હૂતાશણીના તહેવારો ઉજવી રહ્યા હતાં, ત્યારે જ ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું, અને તે પછીનો અત્યાર સુધીનો ઘટનાક્રમ ગ્લોબલ હિસ્ટ્રીનો એક ભયાનક હિસ્સો બની ગયો છે.
આમ તો અત્યારે આ યુદ્ધ ભડકાવવા માટે ટ્રમ્પને દોષ અપાઈ રહ્યો છે, પરંતુ મધ્યપૂર્વના દેશોમાં ભૂતકાળમાં થયેલા યુદ્ધોનો એક લાંબો ઈતિહાસ છે, જેમાં ઈરાન-ઈરાક વચ્ચે ઘણું જ લાંબુ ચાલેલું યુદ્ધ પણ સામેલ છે.
સાડાચાર દાયકા પહેલાનું યુદ્ધ
આજથી લગભગ સાડાચાર દાયકા પહેલા વર્ષ ૧૯૮૦ માં ઈરાકે ઈરાન પર આક્રમણ કર્યા પછી યુદ્ધની શરૂઆત થઈ હતી, અને તે યુદ્ધ આઠ વર્ષ સુધી ચાલ્યું હતું. વર્ષ ૧૯૮૮ માં યુદ્ધવિરામનો સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રસ્તાવને બન્ને દેશોએ સ્વીકાર્યો ત્યાં સુધીમાં બધા મળીને લગભગ પાંચ લાખ લોકોના જીવ ગયા હતાં. આ ઉપરાંત અનફાલ અભિયાનમાં પણ ઘણાં લોકોના મૃત્યુ થયા હતાં. બે વિકાસશીલ દેશો વચ્ચેનું આ ખતરનાક, લાંબુ અને ઘાતક યુદ્ધ હતું. વર્ષ ૧૯૮૦ ની રર મી સપ્ટેમ્બરે શરૂ થયેલું આ યુદ્ધ વર્ષ ૧૯૮૮ ની ર૦ મી ઓગસ્ટ સુધી એટલે કે લગભગ આઠ વર્ષ સુધી ચાલ્યું હતું.
એ યુદ્ધ ઈરાકના તત્કાલિન રાષ્ટ્રપતિ સદામ હુસેન સાથે સંકળાયેલું હતું. વર્ષ ૧૯૭૯ ની ઈરાની ક્રાંતિ પછી ઈરાનના નેતા બનેલા રૂહોલ્લાહ ખામેની ઈરાનની ક્રાંતિકારી નવી વિચારધારાને ઈરાકમાં ફેલાતી અટકાવવાનો સદામ હુસેનનો ઉદ્દેશ્ય હતો. સદામ હુસેન ઈરાકને ફારસની ખાડીમાં મુખ્ય સ્થાને રહેલા ઈરાનને હરાવીને ઈરાકને ત્યાં સ્થાપિત કરવાની પણ તમન્ના હતી, જો કે સરહદી વિવાદોના નામે શરૂ થયેલા આ યુદ્ધમાં સિયા-સુન્ની વિકસિત દેશો અને વિકાસશીલ દેશો તથા ભિન્ન ભિન્ન વિચારધારાો વચ્ચેનો ટકરાવ પણ વધતો રહ્યો હતો. આ યુદ્ધ દરમિયાન રાસાયણિક હુમલા પણ થયા હતાં. આ લાંબા ચાલેલા યુદ્ધ પછી ઈરાકને સોવિયેટ સંઘ, ઈટાલી, ફ્રાન્સ, અમેરિકા, યુ.કે., યુગોસ્લાવિયા તથા અરબ દેશોનું સમર્થન મળ્યું હતું, જ્યારે ઈરાનને સીરિયા, લીબિયા, ઉ. કોરિયા, ચીન, દ. યમન, ક્યુબા, પાકિસ્તાન, ઈઝરાયલ અને કુર્દિસ્તાનના સંગઠનોનું સમર્થન મળ્યું હતું.
વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું હોવાથી આર્થિક પતન, મનોબળની કમી, ઈરાન-અમેરિકાના સંબંધોમાં ખટાશ તથા આંતરરાષ્ટ્રીય કાર્યવાહી પછી વર્ષ ૧૯૮૮ માં થયેલા યુદ્ધવિરામ સમયે બન્ને દેશોમાં બદહાલ હતી, અને આ લાંબા યુદ્ધનું પરિણામ અનિર્ણિત રહ્યું હતું. આ યુદ્ધમાં લાખો સૈનિકો શહીદ થયા હતાં.
હકીકતે વર્ષ ૧૯૩૭ માં શરૂઆત અરબ નદીને લઈને આ બન્ને દેશો વચ્ચે એક સમજુતિ થઈ હતી. વર્ષ ૧૯૬૯ માં ઈરાને આ સંધિ તોડી તે વખતથી બન્ને દેશો વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયો હતો. તે પછી વર્ષ ૧૯૭પ માં અલ્જીયર્સ સમજુતિ થઈ. વર્ષ ૧૯૭૮ માં તેમાં સુધારા-વધારા કરાયા હતાં, પરંતુ ઈરાક સરકારને ગબડાવવાના સોવિયેત યુનિયન સમર્થિત કથિત યોજનાની ગંધ આવતા જ સદામ હુસેને પોતાની સેનાના સંખ્યાબંધ અધિકારીઓને ફાંસીએ ચડાવવાનો આદેશ કરીને ઈરાનના શાહ સામે વિદ્રોહનું નેતૃત્વ કરનાર રૂહોલ્લાહુ ખામૈનીને દેશનિકાલ કર્યા. પ્રારંભમાં ઈરાકની સરકારે ઈરાની ક્રાંતિનું સમર્થન કર્યું અને ઈરાનના શાહ મોહમ્મદ રજા પહલવીનો તખ્તો પલટાવી નાખ્યો. તે પછી ઈરાન-ઈરાકની સરહદે ઘર્ષણ થતું રહ્યું. ખામનૈયે ઈરાક સરકારને ઉથલાવવાની વાત કરી, જેનો બગદાદમાં પ્રચંડ વિરોધ થયો. તે પછીનો ઘટનાક્રમ ઘણો જ અટપટો અને લાંબો છે, પરંતુ સદામ હુસેન ક્ષેત્રિય મહાશક્તિ બનાવવા માગતા હતાં, અને સૈન્ય શક્તિ પણ તેમણે ક્રમશઃ વધારી હતી. ઈરાનમાં ઈસ્લામિક રિવોન્યુશનની ગાર્ડ કોર (આઈઆરજીસી) નો પ્રભાવ વધ્યો. ઘણાં મિલ્ટ્રી ઓપરેશનો આઠ વર્ષ દરમિયાન થયા.
તે સમયે પણ આઠ વર્ષ દરમિયાન સેંકડો મિસાઈલો દાગવામાં આવી હતી,અને અનેક અભિયાનો ચાલ્યા હતાં. ઘણાં સૈન્ય ઓપરેશનો થયા હતાં. તે સમયે પણ દરિયામાં જહાજો પર હુમલા થયા હતાં.
વર્ષ ૧૯૮૮ ના ઓગસ્ટમાં ઈરાન-ઈરાક વચ્ચે યુદ્ધવિરામ પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘની શાંતિ સેનાઓ સરહદો પર તૈનાત રહી હતી, અને વર્ષ ૧૯૯૧ સુધી મોરચો સંભાળ્યો. બન્ને દેશો વચ્ચે યુદ્ધકેદીઓની પરસ્પર સોંપણી વર્ષ ર૦૦૬ માં થઈ હતી.
ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રિમ લીડર) આયાતુલ્લા રૂહોસ્લાહુ ખામૈનીના નિધન પછી આયાતુલ્લાહ અલી ખામેનાઈ વર્ષ ૧૯૮૯ માં સુપ્રિમ લીડર બન્યા હતાં, અને હાલના યુદ્ધમાં ઈઝરાયલ-અમેરિકાના હવાઈ હુમલામાં ર૮ ફેબ્રુઆરી-ર૦ર૬ ના દિવસે તેઓનો દેહાંત થયો હતો.
અત્યારે ઈરાનમાં જે કાંઈ બની રહ્યું છે, અને ઈરાનની સ્થિતિ ઊભી થઈ છે, તેવી જ સ્થિતિ વર્ષ ૧૯૮૦ પછીની ક્રાંતિ પછી સર્જાઈ હતી.
ઈરાન અને ઈરાક વચ્ચે જ્યારે યુદ્ધ ચાલતું હતું, ત્યારે કેટલાક મિત્રદેશો હતાં, તે પૈકીના કેટલાક અત્યારે વિરોધી દેશો બની ગયા છે, તો કેટલાક રાષ્ટ્રો તટસ્થ થઈ ગયા છે. ઈરાન-ઈરાક વચ્ચે થયેલા એ યુદ્ધમાં અને તાજેતરના ઈઝરાયલ-ઈરાન-અમેરિકાના યુદ્ધમાં ઘણો તફાવત હોવા છતાં અત્યારની સ્થિતિના કેટલાક ઘટનાક્રમો જાણે ઈતિહાસને દોહરાવતા હોય તેવું લાગે છે. તે પછી ઈરાકના તાનાશાહ સદામ હુસેન સામે પણ ક્રાંતિ થઈ અને અમેરિકાએ તેને ભોયરા (ભૂગર્ભ) માંથી શોધી કાઢીને તેના પર અદાલતી કાર્યવાહી કરી હતી અને તેઓને ફાંસીએ ચડાવાયા હતાં, તે ઈતિહાસ જાણીતો છે. એવું કહી શકાય કે હવે ઈરાનમાં પણ ભૂતકાળમાં સદામ હુસેનના તખ્તાપલટ માટે ક્રાંતિ થઈ હતી. તેવું જ કાંઈક થવાની સંભાવના વધી ગઈ છે, કારણ કે અત્યારે ઈરાન સામે ઈરાક નથી, પરંતુ ઈઝરાયલ અને અમેરિકા છે.
ગ્લોબલ ડિસ્કસન વચ્ચે ગૂંજતી
બાબા વેંગાની ભવિષ્યવાણી
ગયા શનિવાર પછી ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધ અને ઈરાનના સુપ્રિમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનાઈ તથા ઈરાનની સેનાના કેટલાક લીડર્સ અમેરિકા અને ઈઝરાયલના સહિયારા હુમલાઓમાં માર્યા ગયા તે પછી આજ સુધી જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. ઈરાને પણ આક્રમક પ્રતિપ્રહાર કર્યા પછી દુનિયા બીજા વિશ્વયુદ્ધ તરફ ઢસેડાઈ રહી હોવાના અનુમાનો થવા લાગ્યા હતાં. એ પછી ઈરાને મિડલ ઈસ્ટમાં અમેરિકાના કેટલાક સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા પછી યુદ્ધ વધુ વકર્યું અને તે પછીનો ઘટનાક્રમ જોતા આ યુદ્ધના તત્કાળ અને દૂરગામી બન્ને પ્રકારની અશરો થવાની છે.
આ ઘટનાક્રમ પછી ગત્ રવિવારથી જ ગ્લોબલ વોર ડિસ્કસન તથા ડિબેટીંગ વચ્ચે બલ્ગેરિયાના સુરદાસ બાબા વેંગાએ કરેલી એક વધુ આગાહી સાચી પડવા જઈ રહી હોવાનો દાવો થવા લાગ્યો હતો. બાબા વેંગાની ભવિષ્યવાણી તરીકે વાયરલ થયેલા અહેવાલો મુજબ બાબા વેંગાએ એક સદી પહેલા એવી ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ ર૦ર૬ માં દુનિયામાં તારાજી સર્જાશે. દુનિયાના પૂર્વ ક્ષેત્રમાં એક ભયાનક યુદ્ધ થશે, જે ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઈ જશે. આ વર્ષ વિનાશકારી પૂરવાર થશે. આ યુદ્ધ પશ્ચિમી દુનિયાને વધુ પ્રભાવી કરશે અને સૌથી વધુ નુક્સાન યુરોપને થશે. એટલું જ નહીં, યુરોપ વેરવિખેર થઈ જશે. તે સમયે તેમણે રશિયા એક મહાન શક્તિ બનીને ઉભરી આવશે, તેવા સંકેતો પણ આપ્યા હતાં.
બાબા વેંગાની ઘણી બધી આગાહીઓ સાચી પડી હોવાનો દાવો કરતા વિશ્લેષકો તેને બાલકનના નાસ્ત્રેદમસ પણ કહે છે. બલ્ગેરિયાના નેત્રહીન બાબા વેંગા હકીકતે એક વુમન એસ્ટ્રોલોજિસ્ટ (સુરદાર જ્યોતિષી) હતાં. તેમણે સોવિયેટ યુનિયનના ભાગલા, અમેરિકામાં (વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર) અલકાયદાના આતંકી હુમલાઓ જેવી આગાહીઓ કરી હતી, જે સાચી પડી હોવાના દાવા સાથે વિશ્લેષકો કહે છે કે, આખી દુનિયા માટે વર્ષ ર૦ર૬ નું વર્ષ તબાહી અને બરબાદીનું નિવડી શકે છે.
બાબા વેંગાનું મૂળ નામ વાંગેલિયા પાંડેયા ગુશતેરોયા હતું. તેમણે વર્ષ ર૦૧૯ ની કોરોના જેવી મહામારીના સંકેતો આપ્યા હતાં. એકંદરે ભલે બાબા વેંગા અથવા નાસ્ત્રેદમસની તમામ આગાહીઓ સાચી પડી ન હોય, પરંતુ પોતાના મૃત્યુ તથા દુનિયાને હચમચાવતી કેટલીક એવી ઘટનાઓની તેમની આગાહીઓ સાચી ઠરી હોવાનો દાવો કરનારો એક મોટો વર્ગ છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial