Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના કેશોદ એરપોર્ટ પર ૨૫૦૦ મીટર રન-વેના વિસ્તરણ પછી એડવાન્સ નેવિગેશનલ માળખું લગાવાશે

સાંસદ પરિમલ નથવાણીનો સવાલઃ ઉડ્ડયનમંત્રીનો જવાબ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ગુજરાતના કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લગાવાશે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી દ્વારા વારંવાર રદ્દ થતી ફ્લાઈટ્સ અંગે લખવામાં આવેલા પત્રના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ માહિતી આપી હતી.

કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઓફ વર્ક અનુસાર, કેશોદ એરપોર્ટ માટે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને ડીવીઓઆરની જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવી છે. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપુ દ્વારા રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને પત્રના માધ્યમથી આપવામાં આવી હતી.

ઉડ્ડયન મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે મંત્રાલયે કેશોદ એરપોર્ટ પર રનવેને ૨,૫૦૦ મીટર સુધી લંબાવવા માટેના સ્કોપ ઓફ વર્કની જાહેરાત કરી દીધી છે અને આ કામનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. આઈએલએસના ઈન્સ્ટોલેશન માટે રનવેની લંબાઈ ૧,૮૦૦ મીટરથી વધુ હોવી જોઈએ અને કેશોદ એરપોર્ટના હાલના રનવેની લંબાઈ ૧,૩૦૦ મીટર છે.

સાંસદ પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઈટ રદ્દ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો. તેમણે પોતાના પત્રમાં હવામાન સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને વહેલી સવારના ધુમ્મસ અને ઈનસ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (આઈએલએસ) સહિત અપૂરતા નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચરને કારણે ફલાઈટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. નથવાણીએ પત્રમાં લખ્યું હતું કે વારંવાર ફલાઈટ્સ રદ થવાની વિઘ્ન ઊભું થાય છે. જેના કારણે રીજનલ રૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય છે, એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથમાં આવતા મુલાકાતીઓની સુગમતા માટે કેશોદ એરપોર્ટનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર ફલાઈટ્સ રદ થવાને કારણે આ હેતુ બર આવતો નથી. અગાઉ રાજ્યસભામાં પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે રનવે વિસ્તરણ પ્રોજેકટનો અંંદાજિત ખર્ચ રૂ.  ૧૯૦.૫૬ કરોડ છે અને પ્રોજેકટ પૂર્ણ થવાની સમયમર્યાદા ૧૮ મહિના નક્કી કરવામાં આવી છે. અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી ૨૦૨૭ છે.

નોંધનીય છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કેશોદ એરપોર્ટનો વિકાસ રૂ.  ૩૬૪ કરોડના અંદાજિત ખર્ચ સાથે કરવામાં આવશે, જેમાં રૂ.  ૧૪૨.૧૭ કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. ૬,૫૦૦ ચોરસ મીટરમાં  ફેલાયેલું આ નવું ટર્મિનલ બિલ્ડિંગ એક સાથે ૪૦૦ ડિપાર્ટિંગ અને ૪૦૦ અરાઈવિંગ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઈન કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh