Advertisement
Author: નોબત સમાચાર

તહેવારો જીવંતતાનો અહેસાસ

                                                                                                                                                                                                      

જિંદગીની દોડમાં થાકી જાય મન,

ત્યારે તહેવાર આવે જેમ ઠંડો પવન,

હંુફાળા રંગોથી મનને રંગે,

સુકી લાગણીની ફરી બનાવે જીવંત.

દીવા પ્રગટે, ઉજાસ થાય દિલમાં,

હાસ્ય ગુંજે, સુગંધિત થાય જીવન,

મીઠાઈની મીઠાશ ફક્ત સ્વાદ નહી,

સંબંધોમાં ફરી મીઠાશ ભરે કંઈક નવી

નવરાત્રિનો તાલ, હોળીના રંગ,

રક્ષાાબંધનનો પ્રેમ, દિવાળીનો સંગ,

દરેક તહેવાર કહે એક નવી વાર્તા,

માનવતાની ચમકથી ચમકે છે જીવન,

તહેવારો નથી માત્ર પરંપરા,

એ તો જીવવાની રીત છે સહજ,

ક્યાંક પ્રેરણા, તો ક્યાંક ખુશી,

દરેક ક્ષણે છે જીવનનો તહેવાર.

તહેવારો... ભારતીય સંસ્કૃતિ અને આપણા જીવનનું અવિભાજ્ય અંગ... રોજીંદા જીવનની દોડધામમાં માણસ કેટલીય જવાબદારીઓ, ચિંતા અને થાક વચ્ચે ઘેરાઈ જાય છે. સવારથી જ ફરજોનો ભાર એટલો હોય છે કે આપણે હસવાનું ભૂલી જઈએ છીએ, પણ આવી દોડધામવાળી જિંદગીમાં ઠંડકભર્યા પવનની લહેરખી જેવો અહેસાસ એટલે તહેવાર... તહેવાર એ માત્ર દીવા, મીઠાઈ, નવા કપડા કે ફટાકડા જ નથી.. એ તો લાગણીનો ઉત્સવ છે. આ તહેવારના ચાર દિવસ થાકેલા જીવનનો વિસામો છે. આપણે આ દિવસોમાં દોડધામમાંથી અટકીએ છીએ, કામ-ધંધો, ટેન્શન છોડીને પરિવાર અને જીવનમાં ફરીથી જોડાઈએ છીએ, જે ચહેરા પર રોજ થાક, વ્યસ્તતા, ઉદાસી દેખાતી હોય તે ચહેરા તહેવારના દિવસોમાં ઝળહળતા દેખાય છે. એ ઉત્સાહ આપણા મનને ફરી જીવંત કરે છે. દીપ પ્રગટાવતા ફક્ત અંધકાર દૂર નથી થતો, પણ મનના ખૂણે રહેલા થાક-ઉદાસી પણ ઓગળી જાય છે. રંગો અને ખુશીઓ વચ્ચે જીવતરની એક નવી લય જન્મે છે. તહેવાર યાદ કરાવે છે કે જીવન ફક્ત કામ અને જવાબદારી નથી, પણ પ્રેમ-જોડાણ  અને આનંદનું એક સુંદર સંગીત છે.

તહેવાર એ માત્ર પરંપરા નથી. જોડાણ અને ઉત્સાહનો સ્ત્રોત છે, આજની દોડધામવાળી જિંદગીમાં તહેવારો આપણને થોડા સમય માટે થાક-ટેન્શનથી દૂર લઈ જાય છે અને ફરીથી જીવન જીવવાનું સાચું કારણ યાદ અપાવે છે, તહેવાર આપણામાં નવી ઉર્જા ભરે છે, આનંદપૂર્વક જીવવાની તક આપે છે. તહેવારો કુટુંબ અને સમાજ વચ્ચેના બંધનોને મજબૂત બનાવે છે.

પરિવાર સાથે મળીને ખરીદી કરવી, ઘરની સજાવટ કરવી, મિત્રો સાથે ફરવા જવું, પાડોશી સાથે મળીને ફરસાણ-મીઠાઈ બનાવવી, રંગોળી બનાવવી, એકબીજાના ઘરે આપવી, આ બધું સંબંધોમાં લાગણી વધારવાનું માધ્યમ છે. આજના એકલતાભર્યા યુગમાં તહેવારો માનવીય જોડાણની સૌથી સુંદર તક આપે છે. તહેવારો આપણને આપણા મૂળ સાથે જોડે છે. એ સમય છે જયારે આપણે આપણા સંસ્કાર અને મૂલ્યોને ફરી જીવંત કરીએ છીએ. સાથે સાથે આજના યુવાનો એ તહેવારોમાં નવા વિચાર, નવી ઉર્જા અને આધુનિકતાનો સંદેશ પણ ઉમેરે છે. પરંપરા અને આધુનિકતા વચ્ચેનું આ સંતુલન તહેવારોને વધુ સમૃદ્ધ બનાવે છે.

તહેવારો ફક્ત બહારની ઉજવણી નથી, એ મનની શુદ્ધતા અને આત્માના આનંદનો અવસર છે. દીવા પ્રગાટવવાથી મનમાં પ્રકાશ ફેલાય છે. તહેવારો જીવનમાં નવી આશા અને પ્રેરણા જગાવે છે. દરેક તહેવાર આપણને એક મૂલ્ય શીખવે છે, તહેવારો ફક્ત દિવસો નથી, એ જીવનનો ધબકાર છે, જે આપણને યાદ અપાવે છે કે જીવવું એટલે આનંદ ફેલાવવો... તહેવારો એ સમય છે જ્યારે જીવનના બધા રંગો એકસાથે ખીલી ઉઠે છે.

તહેવાર એટલે જીવનમાં આવતી આનંદની હેલી, તહેવાર માત્ર ચોક્કસ તારીખ કે ધાર્મિક વિધિઓ પૂરતો સીમિત નથી, પણ તે આપણા નીરસ જીવનમાં નવીનતા અને તાજગી ઉમેરવાનું કામ કરે છે. તહેવારની રાહ જોવામાં તેની તૈયારી કરવામાં જ અલગ ઉત્સાહ હોય છે.

 ખરીદી હોય કે સફાઈ, શણગાર હોય કે ફરસાણ, મીઠાઈ હોય કે મુખવાસ, રંગોળી હોય કે ફટાકડા... આ બધું જ થાક ન આપે, પણ અનોખો ઉમંગ જગાવે છે. આ સમય દરમિયાન લોકો પોતાની ચિંતા ભૂલીને ખુશ રહે છે.

આજના વ્યસ્ત સમયમાં લોકો પાસે એકબીજાને મળવાનો સમય ઓછો હોય છે. ત્યારે તહેવારો બધાને એકબીજા સાથે જોડવાનું માધ્યમ બની રહે છે. જેના કારણે આખુ કુટુંબ અને સગાસંબંધી એકબીજા સાથેના સંબંધો ફરીથી જીવંત કરે છે. સાથે મળીને હસવું, વાતો કરવી, ફરવું, જમવું એ બધું પારિવારિક બંધનને મજબૂત બનાવે છે અને એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માનની લાગણી વધારે છે.

દરેક તહેવાર તેની સાથે કોઈને કોઈ ધાર્મિક, ઐતિહાસિક અથવા મૌસમી મહત્ત્વ લઈને આવે છે. તહેવારોની ઉજવણી દ્વારા આપણી સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોનું જતન થાય છે.

નવી પેઢીને તહેવારોનું આપણી સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવી શકીએ છીએ અને વેસ્ટર્ન કલ્ચરમાં ખોવાયેલી આપણી પેઢીને મૂળ સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. પરત લાવે છે.

તહેવારો પ્રકાશ, સકારાત્મકતા અને ઉલ્લાસનું પ્રતીક છે, તે નકારાત્મકતા દૂર કરીને જીવનમાં ખુશી અને શાંતિ લાવે છે. તહેવારો એ માત્ર રજાઓ નથી પણ માનવતા, પ્રેમ, ભાઈચારો અને સકારાત્મકતાનો સંદેશ લાવે છે. તેથી આપણે તહેવારોને માત્ર ધામધૂમથી  નહી, તેના મૂળ હેતુને સમજીને પૂરા ઉમંગ અને ખુશીથી ઉજવવા જોઈએ જેથી જીવનમાં હંમેશાં ઉત્સાહ અને આનંદ બની રહે.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh