Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ડુંગરાળી દેવરીયામાં વીજ આંચકાથી વૃદ્ધ દંપતી સહિત ત્રણના મૃત્યુ

માવઠાથી મગફળીના ભુસાને બચાવવાના પ્રયત્ન કરતા ત્રણ વ્યક્તિ મોતને શરણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: કાલાવડના ડુંગરાળી દેવરીયા ગામમાં ગઈકાલે તૂટી પડેલા માવઠા વચ્ચે ઘરના વાડામાં પડેલા મગફળીના ભુસાને નજીકમાં આવેલા જૂના મકાન સ્થિત પતરાના મંડપ નીચે ખસેડવા માટે મચી પડેલા વૃદ્ધ ખેડૂત દંપતી તથા એક શ્રમિકને જોરદાર વીજ આંચકો લાગતા ત્રણેયના મૃત્યુ નિપજ્યા હતા. ચાલુ વરસાદે જૂના મકાનમાં વીજળીનો વાયર લીક થયો હતો અને તે વાયર લોખંડના એંગલને અડક્યા પછી ત્યાં  કામ કરતા ત્રણેય વ્યક્તિના ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યા છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી દીધી છે.

કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવરીયા ગામમાં વસવાટ કરતા રવજીભાઈ જેસાભાઈ રોલા (ઉ.વ.૬૫) નામના ખેડૂત તથા તેમના પત્ની સવિતાબેન રવજીભાઈ (ઉ.વ.૬૦) ગઈકાલે અચાનક વરસાદ તૂટી પડતા પોતાના મકાન સ્થિત વાડામાં રાખવામાં આવેલા મગફળીના ભુસાને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કામ કરતા હતા. તેઓએ નજીકમાં જ આવેલા પોતાના બીજા મકાનમાં લોખંડના પતરાથી બનાવેલા મંડપ નીચે તે ભુસો લઈ જવાનો પ્રયાસ શરૂ કર્યાે હતો. જેમાં તેમની સાથે બુધાભાઈ ધીરૂભાઈ વાજલીયા (ઉ.વ.રર) નામના શ્રમિક પણ કામમાં જોતરાયા હતા.

ઉપરોક્ત ત્રણેય વ્યક્તિ જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે બપોરે સાડા ત્રણેક વાગ્યે લોખંડના પતરાથી જે માંડવો બનાવવામાં આવ્યો હતો અને તેમાં મગફળીનો ભુસો ખસેડવામાં આવતો હતો તે માંડવા પર આવેલા લોખંડના એંગલમાંથી જોરદાર વીજ પ્રવાહ વહેતો થયો હતો.

જૂના મકાનમાં ચાલુ વરસાદે જીવંત વીજવાયર  લીકેજ થતા અને તે વાયર નજીકમાં આવેલી લોખંડની એંગલને અડક્યા પછી નીચે કામ કરતા રવજીભાઈ, તેમના પત્ની સવિતાબેન તથા બુધાભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓની ચીસ સાંભળી આજુબાજુમાંથી અન્ય લોકો દોડી આવ્યા હતા. ત્રણેય વ્યક્તિને સારવાર માટે કાલાવડ હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. તે દરમિયાન ત્રણેયના મૃત્યુ નિપજતા નાના એવા ડુંગરાળી દેવરીયા ગામમાં અરેરાટી પ્રસરી છે.

ઉપરોક્ત બનાવ અંગે રવજીભાઈના જામનગરમાં વસવાટ કરતા અને ગેરેજનો વ્યવસાય કરતા પુત્ર મનિષભાઈ રોલાએ પોલીસને બનાવની જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.બી. ઠાકોર તથા સ્ટાફ દોડી ગયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh