જામનગર તા. ૩ઃ જોડીયાના જસાપરના એક યુવાનને પિતાએ ઢોર ચરાવવા જવાનું કહેતા આ યુવાન ઘરેથી ચાલ્યો ગયો હતો. તેનો ગઈકાલે એક ખેતરમાંથી મૃતદેહ મળતા પોલીસ દોડી ગઈ છે.
જોડીયા તાલુકાના જસાપર ગામમાં રહેતા મૈયાભાઈ બીજલભાઈ ગમારા નામના ૨૦ વર્ષના ભરવાડ યુવકને તેના પિતાએ ઢોર ચરાવવા માટે જવાનું કહેતા ગઈ તા. ૨૫ની સવારે તેઓ પોતાનું ઘર મૂકી ક્યાંક ચાલ્યા ગયા હતાં.
આ યુવાનની પરિવારજનોએ સંભવિત તમામ સ્થળોએ શોધખોળ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. તે દરમ્યાન ગઈકાલે સાંજે જસાપરમાં આવેલા બિપીનભાઈ પનારાના ખેતરમાં એરડાના પાક વચ્ચે મૈયાભાઈનો મૃતદેહ પડ્યો હોવાની કોઈએ જાણ કરતા આ યુવાનનો પરિવાર તેમજ પોલીસ કાફલો દોડ્યા હતાં.
તે સ્થળેથી મૈયાભાઈનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેને પીએમ માટે ખસેડી મૃતકના કૌટુંબીક કાકા ચનાભાઈ જીવણભાઈ ગમારાનું નિવેદન નોંધ્યું છે.